Sihor
સિહોરના હાઇવે પર બિસ્માર રોડને લઈ ડે કલકેટર દિલીપસિંહ આકરા પાણીએ, દિવસ એકમાં રીપેર કરો અન્યથા CRPC 133 મુજબ કાર્યવાહી
પવાર
ડે કલેકટર દિલીપસિંહ વાળાએ રોડ વિભાગને નોટિસ પાઠવી, સિહોર ઉપરાંત ઉમરાળા વિસ્તારના રોડને રીપેરીંગ કરવા તત્કાલ આદેશ, એક દિવસમાં રીપેર કરો અન્યથા CRPC 133 મુજબ કાર્યવાહી, રોડ વિભાગને નોટિસ મોકલી તત્કાલ કામ કરવા આદેશ
સિહોર શહેર અને તાલુકાના રોડ રસ્તાઓ બિસમાર બન્યાં છે જે ને લઈ ડે કલકેટર આકરા પાણીએ થયા છે અને રોડ વિભાગને નોટિસ પાઠવી તત્કાલ રોડ રીપેર કરવા આદેશ કરવામાં આવ્યા છે, સિહોરએ સતત વિકાસ ની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. આ શહેરનું ધાર્મિક અને ઐતિહાસિક દષ્ટિએ કંઇક અનન્ય મહત્વ છે. આ શહેર આજે પ્રગતિની બાબતમાં પણ અગ્રેસર બની રહ્યું છે. પરંતુ જયારે સવલત કે સુવિધાની વાત આવે ત્યારે સિહોરને સતત અન્યાય થઇ રહ્યો હોય એવું સિહોરવાસીઓને ચોકકસ લાગે.
સિહોરમાંથી પસાર થતો રાજય ધોરી માર્ગ અત્યારે તૂટીને ત્રણ ભાગ જેવો થઇ ગયો છે. અને છેલ્લા ઘણા સમયથી આ રોડની હાલત દિન-પ્રતિદિન બદતર બનતી જાય છે. અનેક જગ્યાએ મોટા -મોટા ખાડા પડી ગયા છે. કયારેક તંત્ર દ્વારા થાગડ-થીગડથી કામ ચલાવી લેવામાં આવે છે. અને લોકો સંતોષનો ઓડકાર લે છે. થોડા સમય બાદ પરિસ્થિતિ લગભગ જૈસે થે જેવી બની જાય છે. અને લોકો પુન: રોડ તૂટી ગયો છે એવી બુમરાણ મચાવવા માંડે છે. સર્વોત્તમ ડેરીથી ગરીબશા પીર સુધી વિસ્તરેલું છે. અને આટલા વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ તૂટી ગયો છે. દિવસ -રાત બેશુમાર માત્રામાં દોડતા વાહનોની ભરમારને કારણે અનેક વખત નાના-મોટા અકસ્માતો બન્યા કરે છે.
અને તેમાં આજ દિન સુધીમાં કોઇકના વહાલસોયા દીકરા,પતિ,ભાઇએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક તરફ દિન-પ્રતિદિન વધી રહેલી વસતિની સામે વાહનો પણ એટલા જ વધી રહ્યા છે. પરંતુ એની સામે રોડ રસ્તાની સુવિધા એટલી વધતી નથી. જેને કારણે સિહોરવાસીઓ અને આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભારે રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે સિહોરના ડે કલેકટર દિલીપસિંહ વાળા બિસ્માર રોડ રસ્તાઓને લઈ આકરા બન્યા છે અને રોડ વિભાગને નોટિસ પાઠવી રોડ રીપેરીંગ કરવા આદેશ કર્યા છે અને દિવસમાં એકમાં કામગીરી કરીને રિપોર્ટ કરવા નોટિસ પાઠવતા ભારે ચકચાર મચી છે, કામગીરી નહિ કરવામાં આવતો તો CRPC 133 મુજબ કાર્યવાહી થશે તેવી ચીમકી પણ ડે કલેકટર દિલીપસિંહ વાળાએ ઉચ્ચારી છે