Gujarat
પરંપરા તૂટી : વિધાનસભાની જાહેર હિસાબ સમીતીના અધ્યક્ષપદે જીતુ વાઘાણી
કુવાડિયા
વિધાનસભામાં વિપક્ષનું નેતાપદ ગુમાવ્યા બાદ કોંગ્રેસને વધુ એક આંચકો : વિપક્ષના ધારાસભ્યના સ્થાને શાસક પક્ષના જ પીઢ MLA અને સરકારના ‘હિસાબો’ પર ધ્યાન રાખવાની જવાબદારી : તમામ મહત્વની પાંચ સમીતીમાં ભાજપના જ ધારાસભ્યો નિયુક્ત
ગુજરાતમાં 156ની બહુમતી સાથે સતામાં આવેલી ભાજપ સરકારે હવે વિધાનસભાની મહત્વની સમીતીઓની કરેલી રચનામાં વિધાનસભાની સૌથી મહત્વની ગણાતી જાહેર હિસાબ સમીતીમાં પ્રથમ વખત વિપક્ષને બદલે શાસક પક્ષના જ ધારાસભ્યને અધ્યક્ષ તરીકે સ્થાન આપ્યુ છે. એક પરંપરા મુજબ જાહેર હિસાબ સમીતી જે સરકારના નાણાકીય સહિતના કામો પર નજર રાખતી હોય છે અને તેનો રીપોર્ટ વિધાનસભાને સુપ્રત થતો હોય છે તેમાં વિપક્ષના કોઈ સીનીયર ધારાસભ્યને અધ્યક્ષ બનાવવાની પરંપરા છે જેના બદલે હવે ભાવનગરના ધારાસભ્ય તથા પુર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને રાજયકક્ષાના મંત્રી સમકક્ષનું આ સ્થાન અપાયુ છે. વિધાનસભાની પાંચ મહત્વની સમીતીમાં અધ્યક્ષપદે શાસક પક્ષનાજ ધારાસભ્યને સ્થાન અપાયુ છે જયારે 17 વિધાન સભ્યો ધરાવતા કોંગ્રેસ પક્ષને વિપક્ષનું નેતાપદ મળ્યું નથી તે જ રીતે અન્ય સભ્યોમાં કોંગ્રેસના સીનીયર સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડીયા તથા આપમાંથી હેમંત આહીરને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય પંચાયતી રાજ સમીતીમાં ગેનીબેન ઠાકોર, આદીજાતિ પરિવારમાં અનંત પટેલ, અંદાજ સમીતીમાં ડો. તુષાર ચૌધરી તેમજ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સેનેટ કોર્ટમાં કિરીટ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આમ, કોંગ્રેસના છ સભ્ય અને આમઆદમી પાર્ટીના એક સભ્યને સ્થાન મળ્યું છે.
વિધાનસભાની અંદાજ સમીતી, જાહેર હિસાબ સમીતી, પંચાયતી રાજ સમીતી તથા જાહેર સાહસો માટેની સમીતી અને આદીજાતિ સલાહકાર પરિષદમાં સભ્યોની નિમણુંક માટે માર્ચ માસમાં ચૂંટણી કાર્યક્રમ અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેર કર્યો હતો. જો કે, પંદર પંદર સભ્યોની આ પાંચ સમીતીઓમાં ભાજપે પ્રોરેટા મુજબ ફોર્મ ભરતા કોંગ્રેસ અને આપને કયાંય સ્થાન ન મળે અથવા તો એક એક સભ્યને જ માંડ સ્થાન મળે એવી સ્થિતિ સર્જાઈ હતી. આને પગલે કોંગ્રેસના બે બે તથા આપના એક એક સભ્યોએ પણ પોતાની દાવેદારી નોંધાવતા વીસેક દિવસથી સમીતીઓની રચના ડખે ચઢી હતી. મંગળવારે અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ પક્ષોના આગેવાનો સાથે ચર્ચા બેઠક કરી હતી અને ભાજપના એક એક સભ્ય ફોર્મ પાછું ખેંચશે એવી સહમતિ સધાઈ હતી. પીએસીનું અધ્યક્ષપદ કોંગ્રેસને આપવાનો ઈન્કાર કર્યો હતો સામે કોંગ્રેસના બે સભ્યોનો સમાવેશ કરવાની તૈયારી બતાવી હતી. આમ, ચૂંટણી ટાળવા માટે આમઆદમી પાર્ટી (આપ)ના સભ્યોને પણ ફોર્મ પાછું ખેંચાવવા માટે પીએસીમાં સ્થાન આપવાની તૈયારી બતાવી હતી. પ્રોરેટાની દ્દષ્ટિએ આપને કોઈ રીતે સ્થાન મળી શકે એમ ન હતું.