Bhavnagar
ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ ૮૦% ભરાયો નીચાણવાળા ૧૭ ગામોને કરાયા એલર્ટ.
બ્રિજેશ
શેત્રુંજી ડેમની જળસપાટી હાલ ૩૦.૭ ફૂટ પર પહોચી, ડેમ હાલ તેની ક્ષમતા નો ૮૦% ભરાય ગયો છે, ડેમ ગમે ત્યારે તેની છલક સપાટી સુધી પહોચી શકે છે, ડેમ હેઠળ આવતા તળાજા પાલીતાણાના ૧૭ ગામોને કરાયા એલર્ટ, પાણી છોડવાની સંભવિત પરિસ્થિતિને પગલે નદી પટ્ટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ના કરવા તાકીદ
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હાલ તેના સ્ત્રાવ વિસ્તાર અને ખાસ કરીને અમરેલી જીલ્લામાં પડી રહેલા સારા વરસાદના પગલે પાણીની ભરપુર આવક થતા હાલ તે ૮૦% ભરાય ગયો છે. ૩૪ ફૂટની છલક સપાટી ધરાવતો આ ડેમ હવે જયારે ૩૦.૭ ફૂટ ભરાય ગયો છે ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસોમાં ડેમમાંથી પાણી છોડવાની સંભવિત પરિસ્થિતિને લઇ તળાજા અને પાલીતાણાના ૧૭ ગામોને એલર્ટ કરી નદી કાંઠે કે પટ્ટમાં અવરજવર ના કરવા તાકીદ કરી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ હાલ ૮૦% એટલે કે ૩૦.૭ ફૂટ ભરાય ગયો છે.
આ ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે. જયારે હાલ ૮૦૭ કયુસેક પાણીની આવક શરુ છે. ડેમના સ્ત્રાવ વિસ્તાર અને ખાસ અમરેલી પંથકમાં પડી રહેલા સારા વરસાદના પગલે તેનું પાણી શેત્રુંજી નદીમાંથી ડેમમાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ સારા વરસાદના પગલે આવક વધી શકે છે અને ગમે ત્યારે આ ડેમ તેની ૩૪ ફૂટની છલક સપાટી પર સુધી પહોચતા ડેમમાંથી છોડવામાં આવનાર પાણીની સંભવિત પરિસ્થિતિને લઇ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાલીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી,લીલીવાવ, તરસરા અને સરતાનપર તેમજ પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી,લાપાળીયા,લાખાવડ,માયધાર અને મેઢા મળી કુલ ૧૭ ગામોને એલર્ટ કરી તાકીદ કરવામાં આવી છે.જેમાં ગમે ત્યારે એલર્ટ જાહેર કરી ડેમમાં પાણી છોડવામાં આવી શકે છે જેથી આ ગામોમાં લોકોએ નદીના પટ્ટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવી.