Bhavnagar
ભાવનગર તોડકાંડ : યુવરાજસિંહ જાડેજાને વધુ બે દિવસના રિમાન્ડ , પહેલી મે સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે
બરફવાળા
ડમીકાંડમાં બે ઉમેદવારના નામ જાહેર ન કરવા માટે રૂ. ૧ કરોડની ખંડણી વસૂલી હતી, ૬ સામે પોલીસ ફરિયાદ થઈ હતી, ગત ૨૧ મી એપ્રિલે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૨ એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
ડમીકાંડ બાદ સામે આવેલા તોડકાંડને લઇ મામલો ગરમાયો છે અને યુવરાજસિંહ ૨૯ મી એપ્રિલ સુધી રિમાન્ડ ઉપર હતો શનિવાર એ સાંજે પાંચ વાગ્યે રિમાન્ડ પૂરા થયા બાદ તેણે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા . આમ યુવરાજસિંહ હવે પહેલી મે સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. આ અગાઉ એસઆઈટીએ અગાઉ તેના બે સાળા કાનભા ગોહિલ અને શિવુભા ગોહિલને પણ દબોચ્યા હતા ત્યારે નાસતા ફરતા રાજુ નામની વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં તમામ ૬ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે . ડમીકાંડમાં બે ઉમેદવારોના નામ દબાવી દેવા માટે રૂ. ૧ કરોડની ડીલ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો હતો અને તેના પૂરાવા પણ કબજે કર્યા હતા પોલીસે આ કેસમાં કુલ ૭૬ લાખ ૬૦ હજાર રિકવર કર્યા છે.
સરકારની વિવિધ ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડીને પરીક્ષા પાસ કરવાના કૌભાંડનો વિધાર્થી નેતા યુવરાજસિંહે પર્દાકાશ કર્યો હતો. બાદમાં યુવરાજસિંહને એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું અને બાદમાં તેની પૂછપરછ કરાયા બાદ આ કેસમાં તોડકાંડ સામે આવ્યો હતો. જેમાં ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે તમામ પૂરાવા આપ્યા હતા અને બાદમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલને સુરતમાંથી પકડી લેવામાં આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ભાવનગર મૂકેલા ૩૫.૩૮ લાખ રિકવર કરવામાં આવ્યા હતા. બાદમાં શિવુભા ગોહિલે પણ સરેન્ડર કર્યું હતું અને તેની પાસેથી રૂ. ૨૫ લાખ રિકવર કરાયા હતા. જો કે શિવુભાએ આ સમગ્ર કેસ રાજકીય ષડયંત્ર હોવાનું કહીને અમને ફસાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. તોડકાંડમાં ગત ૨૧ મી એપ્રિલે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૨મી એપ્રિલે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને શનિવાર એ સાંજે પાંચ વાગ્યે રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા..