Bhavnagar
ભાવનગરમાં ભગવંત માન ; સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા
કુવાડિયા
- સમૂહલગ્નમાં હાજરી આપ્યા બાદ પંજાબના મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ પણ યોજી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસીય ભાવનગરની મુલાકાતે હતા. જેમાં માંધાતા ગ્રુપ દ્રારા 201 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ભાવનગરના આંગણે આજે માંધાતા ગ્રુપ દ્વારા 201 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ખાસ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા, આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આપના જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે, સમૂહલગ્ન બાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. ભાવનગર ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ભગવંત માન ખુલ્લી જીપમાં સમારોહ સ્થળે આવ્યા હતા અહીં સમૂહ લગ્નમાં તાજેતરમાં 501 દીકરીઓ સમુહ લગ્ન કરાવનાર સુરેશ લાખાણી ખાસ હાજર રહ્યા હતા અને ભગવંત માને તેમને પણ શુભેચ્છા પાઠવી હતી.
ભગવંત માન અને આગેવાનો, મહાનુભાવો તેમજ સંતો-મહંતોએ નવ દંપતીઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યપ્રધાને પત્રકાર પરિષદમાં ખાલીસ્તાનીની શરૂ થયેલી ચળવળના મામલે કહ્યું હતું કે, ધરણા કે પ્રદર્શન કરવાની સૌને છૂટ છે. પરંતુ તેની આડમાં હિંસા થાય તે ચલાવી લેવાશે નહિ. તેમને કહ્યું કે પોલીસ મથક ઉપર હુમલો કરવાની ઘટનાની સૌએ નિંદા કરી છે અને આવા તોફાન કરનાર પંજાબી હોઈ શકે નહીં તેમને કહ્યું હતું કે પંજાબના લોકો કાયમી શાંતિ ઇચ્છી રહ્યા છે.