Sihor
સિહોર સહિત જિલ્લામાં ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ; બાળનાર સામે પગલા લેવાશે
દેવરાજ
પ્રદુષણ ફેલાતુ અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડયુ, અલંગ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ-પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે : જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી
તાજેતરમાં સિહોર સહિત જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ-પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે.
ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો)ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઈએ હુકમ કરવામાં આવેલ છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિસ્તાર સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા/ સળગાવવા નહિ.
હુકમ તા. ૧૧/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ- ભાવનગર, કમિશનર-મહાનગરપાલિકા, મુખ્ય કારોબારી અધિકારી-ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, નિદષ્ટ અધિકારી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ- અલંગ તથા સંબંધિત ચીફ ઓફીસર, નગરપાલિકાઓએ કરાવવાનો રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને -૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ -૧૮૮ મુજબ સજા થશે.