Bhavnagar
ભાવનગરના એક નિવૃત પ્રોફેસર કે જેમણે ખડી હનુમાન ચાલીસની કરી રચના
- હનુમાન ચાલીસાના 840 અક્ષરો-શબ્દોને રામચરિત માનસની ચોપાઈ સાથે જોડી કરી રચના : નિવૃત પ્રોફેસર આજે 82 વર્ષની ઉંમરે પણ અલગ અલગ રચનાઓ થકી કરી રહ્યા છે હનુમાન ભક્તિ.
કેતન સોની
ભાવનગર એટલે કે ગોહિલવાડ,જેને સંતો અને કવિઓની ભૂમિ પણ કહેવાય છે.આ ધરતીએ અનેક કવિઓ આપ્યા તો હજુ અનેક કવિ હ્યદય મૌજુદ છે,આવા જ એક વ્યકતિ કે જેમણે પોતાની ૮૨ વર્ષની હાલની ઉમર જેમાં પાછલા ૩૬ વર્ષની રામાયણ સાધના થકી ૧૫૦ થી વધુ ગ્રંથમાળ તૈયાર કર્યા જેમાં ખાસ કહી શકાય એવી ખડી (ઉભી) હનુમાન ચલીસાની રચના કરી પોતાની હનુમાન ભક્તિને પોતાના માટે સાર્થક કરી છે. શહેરનાં કાળીયાબિડ વિસ્તારમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્રે સેવા આપી સેવા નિવૃત થયેલ પ્રધ્યાપક એવા પ્રદ્યુમ્નસિંહ નટવરસિંહ ગોહિલે ઋષિઓ રચિત શ્રીરામચરિત માનસ તેમજ સુંદરકાંડની ચોપાઈઓને સાંકળી તેને હનુમાન ચાલીસાના દરેક અક્ષર સાથે જોડી એક ભવ્ય હનુમાન ચાલીસની રચના કરી છે. પ્રદ્યુમ્નસિંહ ગોહિલ કે જે બી.કોમ સુધી અભ્યાસ કરી ૪ વર્ષ એન.સી.સી.મા ટ્રેનર તરીકે સેવા આપ્યાં બાદ ભાવનગરની એમ.જે કોલેજમાં ટ્રાન્સપોર્ટેશન એન્ડ હોટેલ મેનેજમેન્ટ વિષયમાં પ્રોફેસર તરીકે ૩૬ વર્ષ સુધી સેવા આપી આ દરમ્યાન રામચરિત માનસ પ્રત્યે અનોખો લગાવ તેમને ઉંડા આધ્યાત્મ તરફ દોરી ગયું અને ફરજ દરમ્યાન શહેર મધ્યે આવેલ વર્ષો જૂના ગોળીબાર હનુમાનજી મંદિર સુધી જયાં હનુમાન ભક્ત અને હાલ ૧૧૫ વર્ષની વયે પહોંચેલ મહંત મદનમોહનદાસજી બાપુને પોતાનાં ગુરૂ પણ ધારણ કર્યા.મદનમોહનદાસજી કંઠસ્થ રામચરિત માનસ અને સુંદરકાંડની ચોપાઈ બોલતા હોય જેથી પૂ.બાપુને રામચરિત માનસની ચોપાઈઓ તેમને શિખવવા વિનંતી કરી આથી બાપુએ અખંડ રામચરિત માનસ નાં પાઠમાં પ્રોફેસર પ્રદ્યુમ્નસિંહને આવવા આજ્ઞા કરી જે આજ્ઞા પ્રધ્યાપકએ શિરોધાર્ય કરી રામચરિત માનસ ભક્તિ યોગનો આરંભ કર્યો.
હનુમાનજી પ્રત્યેની તેમની નિષ્ઠા અને આરાધના થકી થોડા જ સમયમાં ચોપાઈઓ કંઠસ્થ કરી ત્યારબાદ મહાસાગર રૂપી રામચરિત માનસમાં પ્રોફેસર એવાં તે લીન બન્યાં કે રામાયણનાં પ્રત્યેક અક્ષર પર ગહન અભ્યાસ શરુ કર્યો અને રામચરિત માનસનાં દરેક શબ્દ પર ચોપાઈ રૂપી મહા ગ્રંથ તૈયાર કર્યો આજે રામચરિત માનસનાં દરેક અક્ષર-શબ્દ પર પ્રદ્યુમ્નસિંહ પાસે ચોપાઈ મોજુદ છે.રામાયણ સાથે હનુમાન ચાલીસાનું પણ તદ્દન નવું અને આગવું સ્વરૂપ રચ્યું. જેમાં ખડી હનુમાન ચાલીસા જેમાં ચાલીસાનાં દરેક અક્ષર સાથે ચોપાઈનુ સર્જન કર્યું. આમ તો હનુમાન ચાલીસમાં ૪૦ ચોપાઈ આવેલી હોય છે પરંતુ અહીં ખડી હનુમાન ચાલીસાનું જે સર્જન કરવામાં આવ્યું છે તેમાં ૮૪૦ ચોપાઈઓ દ્વારા ખડી હનુમાન ચાલીસા બે રીતે તૈયાર કરવામાં આવી છે.ચોપાઈની પ્રથમ ચરણનો પ્રથમ અક્ષર તેમજ ચોપાઈના દ્વિતીય ચરણમાં પ્રથમ અક્ષરને હનુમાન ચાલીસાના પ્રથમ અક્ષર સાથે જોડી ૧૬૮૦ ચોપાઈની બે અલગ ખડી હનુમાન ચાલીસાની રચના કરી છે. જેમાં ઉલેખનીય બાબતએ છે કે આ ખડી હનુમાન ચાલીસામાં કોઈપણ ચોપાઈ નો ફક્તને ફક્ત એકવાર જ ચોપાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલેકે એકપણ ચોપાઈનો ફરીવાર ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ આ અનોખા હનુમાન ભક્તે હનુમાન ચાલુસને તદ્દન નવા રૂપમાં રચી પોતાની નવધા ભક્તિને ચરિતાર્થ કરી છે. પ્રદ્યુમ્નસિંહ સાધન સંપન્ન અને સુખી છે હાલમાં નિવૃત્તિનો સમય રામભક્ત જીજ્ઞાસુઓને રામચરિત માનસનાં પાઠો ચોપાઈઓનું વિનામૂલ્યે જ્ઞાનામૃત થકી ભક્તિ માર્ગને બુલંદ કરી રહ્યાં છે તેમણે રચેલ ચોપાઈઓનો સંગ્રહકોષ નિહાળવા જેવો છે.આવા અનોખા હનુમાન ભક્તની ભક્તિ આજના પવન પર્વે ધાન્યતાને પાત્ર છે.