Talaja
તળાજાના સરતાનપરમાં એક સગર્ભા અને માતા-બાળકોનું કરાયું હતું સ્થળાંતર
દેવરાજ
બિપરજોય વાવાઝોડાના જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ પર રખાયા હતા. તળાજા તાલુકાનું સરતાનપર ગામ બંદર પર વસેલું હોવાથી દરિયાકિનારે આવેલા ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા અને અન્ય એક પરિવારના આઠ મહિનાના બાળક અને તેની માતાનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભાવનગરના ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડો. ચંદ્રમણિ કુમારના વડપણ હેઠળની આરોગ્ય તંત્રની ટીમે સરતાનપર બંદર અને ગામની મુલાકાતે પહોંચી હતી અને લોકોને સંભવિત વાવાઝોડાના જોખમથી વાકેફ કર્યા હતાં.
આ મુલાકાત દરમિયાન દરિયાકાંઠાથી નજીકના ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા તેમજ અન્ય એક ઘરમાં રહેતા આઠ મહિનાના બાળક અને તેની માતાનું સ્થળાંતર કરવાની જરુર જણાઇ હતી. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં તેમનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આરોગ્ય તંત્રની આ ટીમમાં સી.ડી.એચ.ઓ. ઉપરાંત ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર રાજ ભાટીયા અને મલ્ટિપર્પઝ હેલ્થવર્કર શ્રી પ્રતીક ઓઝાનો પણ સમાવેશ થયો હતો.