Gujarat

સુરતના ભેસ્તાનમાં સિટી બસે લીધો રાહદારીનો ભોગ, રોષે ભરાયેલા લોકોએ કરી બસમાં તોડફોડ

Published

on

સુરતમાં સિટી બસ વધુ એક વખત કાળ સમાન પુરવાર થઈ છે. ભેસ્તાનમાં સિટી બસે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું છે. રોડ ઓળંગી રહેલા યુવકને બસે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતુ. જે પછી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આ દુર્ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. જ્યારે પાંડેસરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વારંવાર BRTS અને સિટી બસના અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માત થતા હોય છે. BRTS અને સિટી બસ વચ્ચે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને અનેક લોકો તેનો ભોગ બનતા હોય છે. ત્યારે ગઇકાલે રાત્રે પણ પાંડેસરા મેઇન રોડ પર ભેસ્તાન નજીક એક સિટી બસે એક રસ્તો પસાર કરી રહેલા યુવકને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં રાહદારીનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતુ.

ઘટના બાદ આસપાસના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. કેટલાક લોકોએ તો આ ઘટના બાદ જે બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો તે બસમાં તોડફોડ પણ કરી દીધી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે સિટી બસ અને BRTS બસના ચાલકો પૂર ઝડપે બસો ચલાવતા હોય છે. જેના કારણે આવા અકસ્માતો સર્જાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનરે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇ આનો કોઇ ત્વરિત રસ્તો શોધવા અથવા આ બસોની ગતિ પર નિયંત્રણ લાવવા અંગે નિર્ણય લેવા પર વિચાર શરુ કરી દીધો છે.

Exit mobile version